પરિગ્રહ અને અપરિગ્રહ માટે મે એક લેખ થોડા સમ પહેલા લખ્યો હતો અને તેનો ઉતર મને યશવંત ભાઈ તરફ થી કોમેંટ્સ ના સ્વરુપ મા મળ્યો છે તે અહી થોડા સુધારા સાથે રજુ કરુ છુ.
પરિગ્રહ એટલે સંચય/એકઠું કરવું અને અ-પરિગ્રહ એટલે જરૂરીયાતથી વધારે કોઈપણ વસ્તુ કે ધન-દોલત વગેરે નો સંચય નહિ કરવો. નીચે પ્રસ્તુત છે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા ગાંધી બાપુના આ બાબતમાં ચિંતન વિચાર. ધન દોલતની લાલસા/ઈચ્છા/એષણા વગરનો માનવ આજકાલ ભાગ્યેજ જોવા મળશે. જે મહાવિર ભગવાને આપણને આ વિષે ઉપદેશ આપ્યો છે એને પણ કદાચ આપણે વિસરતા ગયા છિયે.
ભગવાન મહાવીર સ્વામીના ‘અપરિગ્રહ’ પાલનની આજ્ઞા આજે કેટલી વ્યક્તિ ઓ મા જોવા મળે છે?
યુનો ખાતેની વિશ્વ ધર્મ પરિષદમાં અક્ષર પુરષોત્તમ સંસ્થાના જગત વંદનીય પ્રમુખ સ્વામીએ એક સરસ વાત કહેલ કે બધાજ ધર્મો એકંદરે સારા અને માનવ સમાજના ઉત્થાન લક્ષી છે. છતાં આજે દુનિયામાં દિવસે દિવસે અશાંતિ-લડાઈ-ફસાદ વધતા જાય છે.
ય. મ. ૨૬-૮-‘૩૦
મંગળપ્રભાત
પરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જે મૂળમાં ચોરેલું નથી તે અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઈ જાય છે. પરિગ્રહ એટલે સંચય અથવા એકઠું કરવું. સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઈતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. ઓલિયાઓનો, ભક્તોનો આ અનુભવ છે.
રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતાં નથી, અથવા જાણવા છતાં પાળતાં નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢ્યને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો લોકો બેઘર છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બન્ને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો.
કંગાળ કરોડપતિ થવા ઈચ્છે છે; કંગાળને પેટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો પણ કંગાળને પેટપૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢ્યે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતાપૂરતું સહેજે મળી રહે ને બન્ને પક્ષ સંતોષનો પાઠ શીખે.
આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્રવિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઈક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટીના સત્યાગ્રહી, જીજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતા જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચાર ને ઈચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે.
આમ વિચારતાં ને વર્તતાં આપણે જોઈશું કે આપણે આશ્રમમાં ઘણો સંગ્રહ એવો કરીએ છીએ કે જેની આવશ્યકતા સિદ્ધ કરી શકીએ; અને એવા અનાવશ્યક પરિગ્રહથી પડોશીને ચોરી કરવાની લાલચમાં ફસાવીએ છીએ. અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાન્ત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે.
આટલું યાદ રાખવાયોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઈત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે, આ ખરું વચન હોય- અને ખરું છે જ તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લાભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટે ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઈ મંદતાને તો નહિ જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઈએ. પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હોય, સત્ય તરફ લઈ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહિ. અહિં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજ-પ્રાપ્ત છે.
આપના અભિપ્રાયો